ભાજપના સાંસદે કહી દીધી મોટી વાત: ઈન્દિરા ગાંધી ભારત માતા છે અને કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કરુણાકરણ મારા રાજકીયગુરુ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan15062024_095445_Suresh_Gopi.webp)
- 15 Jun, 2024
કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને "મધર ઓફ ઈન્ડિયા" અને કોંગ્રેસના નેતા અને કેરળના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી કે.કરુણાકરણને "સાહસી પ્રશાસક" કહ્યાં છે. ભાજપ નેતાએ કરુણાકરણ અને માર્ક્સવાદી દિગ્ગજ ઈકે નાયનારને પોતાના રાજકીય ગુરુ ગણાવ્યા છે. ગોપીએ પુન્કુન્નામ સ્થિત કરુણાકરણના સ્મારક મુરલી મંદિરમની મુલાકાત પછી પત્રકારો સાથે વાતચીત કરી હતી.
સુરેશ ગોપીએ કે. કરુણાકરણનના પુત્ર અને કોંગ્રેસના નેતા કે. મુરલીધરનની આશાઓ પર પાણી ફેરવી નાંખીને થ્રિસુર લોકસભા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. ત્રિશૂર સીટ પર ત્રિકોણીય જંગમાં મુરલીધરન ત્રીજા ક્રમે રહ્યા હતા. તેમણે મીડિયાકર્મીઓને વિનંતી કરી કે તેઓ કરુણાકરણના સ્મારકની મુલાકાતને રાજકારણ સાથે ન જોડે. બીજેપી નેતાએ કહ્યું કે તેઓ અહીં તેમના 'ગુરુ'ને માન આપવા આવ્યા છે.
ગોપીએ વધુમાં કહ્યું કે નયનર અને તેમની પત્ની શારદા શિક્ષકો જેવા છે. કરુણાકરણ અને તેમની પત્ની કલ્યાણીકુટ્ટી અમ્મા સાથે પણ તેના ગાઢ સંબંધો છે. સુરેશ ગોપી 12 જૂને કન્નુરમાં ઇકે નયનરના ઘરે ગયા હતા અને તેના પરિવારના સભ્યોને મળ્યા હતા. ગોપીએ કહ્યું કે તેઓ ઈન્દિરા ગાંધીને ભારતની માતા તરીકે જુએ છે અને કે. કરુણાકરણને 'કેરળમાં કોંગ્રેસ પાર્ટીના પિતામહ માનવામાં આવે છે.
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કે. કરુણાકરણને કેરળમાં કોંગ્રેસના જનક કહીને તેઓ આ દક્ષિણી રાજ્યમાં પાર્ટીના સ્થાપકો કે સહ-સ્થાપકોનો અનાદર કરવા માંગતા નથી. સુરેશ ગોપીએ કોંગ્રેસના દિગ્ગજ નેતાની વહીવટી ક્ષમતાઓની પણ પ્રશંસા કરી હતી અને તેમને તેમની પેઢીના 'હિંમતવાન વહીવટકર્તા' ગણાવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હું 2019માં પણ મુરલી મંદિરમ જવા માંગતો હતો. પરંતુ કે. કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલે રાજકીય કારણોસર તેમને આમ કરતા અટકાવ્યા હતા. પદ્મજા તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ છે.
સુરેશ ગોપીએ શહેરના પ્રખ્યાત લોર્ડે માતા ચર્ચમાં જઈને પ્રાર્થના પણ કરી હતી. ગોપી અને તેમના પરિવારે તેમની પુત્રીના લગ્ન વખતે સેન્ટ મેરીની પ્રતિમાને સોનાનો મુગટ ભેટમાં આપ્યો હતો. ગોપીના રાજકીય વિરોધીઓએ તેનો ઉપયોગ તેમને નિશાન બનાવવા માટે કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે મુગટ સોનાનો નહીં પણ તાંબાનો હતો. સુરેશ ગોપીએ કેરળમાં થ્રિસુર લોકસભા સીટ જીતીને ભાજપનું ખાતું ખોલાવ્યું છે. ત્રિશૂરમાં ત્રિકોણીય હરીફાઈ જોવા મળી હતી, જેમાં કોંગ્રેસ, ભાજપ અને સીપીઆઈના ઉમેદવારો વચ્ચે ગાઢ હરીફાઈ હતી.